Home Gujarat
July 23, 2026

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કાળો કેર: 89 શંકાસ્પદ કેસમાંથી 18 પોઝિટિવ

Paras Joshi

Author

Post Image

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે, જેને પગલે સમગ્ર રાજ્યમાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કુલ 89 શંકાસ્પદ કેસો સામે આવ્યા છે. આ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ ટેસ્ટિંગ દરમિયાન 18 દર્દીઓમાં ચાંદીપુરા વાયરસની સત્તાવાર પુષ્ટિ (પોઝિટિવ) થઈ છે.

12 માસૂમ બાળકોના મોતથી ભયનો માહોલ

આ વાયરસ ખાસ કરીને નાના બાળકોને લક્ષ્યાંક બનાવી રહ્યો હોવાથી સ્થિતિ વધુ ગંભીર બની છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કારણે અત્યાર સુધીમાં કુલ 12 ભૂલકાંઓના મોત નીપજ્યા છે, જેના કારણે મૃતક પરિવારોમાં ભારે શોક અને ગ્રામીણ વિસ્તારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સંક્રમણની સાંકળ તોડવા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ જિલ્લાઓમાં ડોર-ટુ-ડોર સર્વેલન્સ, મચ્છર અને સેન્ડફ્લાય (રેતીની માખી) નિયંત્રણની કામગીરી તેમજ સઘન આરોગ્ય ચકાસણી ઝુંબેશ તેજ કરી દેવામાં આવી છે.

38 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ, 23 સ્વસ્થ થયા

હાલમાં રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં 38 દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યાં નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે. રાહતની વાત એ છે કે યોગ્ય સારવાર મળ્યા બાદ 23 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થતાં તેમને હોસ્પિટલમાંથી રજા (ડિસ્ચાર્જ) આપવામાં આવી છે.

આરોગ્ય વિભાગની નાગરિકોને અપીલ

ચાંદીપુરા વાયરસના વધતા જોખમને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે વાલીઓને ખાસ તકેદારી રાખવાની સલાહ આપી છે. જો નાના બાળકોમાં સખત તાવ, ઉલટી, ચક્કર આવવા કે બેભાન થવા જેવાં લક્ષણો જણાય તો વિલંબ કર્યા વગર તાત્કાલિક નજીકના સરકારી કે ખાનગી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જણાવાયું છે. આ ઉપરાંત, ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવા અને મચ્છર કે કીટકોથી બચવાના તમામ ઉપાયો અજમાવવા અપીલ કરવામાં આવી છે.