Home Gujarat
July 24, 2026

મેઘતાંડવથી ગુજરાત બેહાલ: ટ્રેનના પાટા ધોવાતાં રેલ વ્યવહાર ખોરવાયો, 463 રસ્તાઓ પર વાહનવ્યવહાર ઠપ્પ

Paras Joshi

Author

Post Image

હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં અત્ર, તત્ર, સર્વત્ર મુસળધાર વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં ધોધમાર વરસાદ અને તેના કારણે સર્જાયેલા જળબંબાકારની સ્થિતિના પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. રસ્તાઓ અને રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા રાજ્યમાં કુલ 463 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવા પડ્યા છે. ખાસ કરીને સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે વાહનવ્યવહાર તેમજ રેલવે સેવાઓ ગંભીર રીતે પ્રભાવિત થઈ છે, જેના કારણે હજારો મુસાફરો રસ્તાઓ અને સ્ટેશનો પર અટવાઈ પડ્યા છે.

રેલવે ટ્રેક પર માટી ધોવાઈ: સયાજીનગરી રદ્દ, અનેક ટ્રેનો શોર્ટ ટર્મિનેટ

પશ્ચિમ રેલવેના મુંબઈ-સુરત સેક્શન પર આવેલ ઉદવાડા અને પારડી સ્ટેશન વચ્ચે ભારે વરસાદના કારણે બેંક સ્લાઈડિંગ (ટ્રેકની બાજુની જમીન ધસી પડવી) અને માટીનું ધોવાણ થવાની ગંભીર ઘટના સામે આવી હતી. ટ્રેક પર સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા તાત્કાલિક ધોરણે ટ્રેન વ્યવહાર રોકી દેવામાં આવ્યો હતો.

આ આકસ્મિક પરિસ્થિતિને કારણે મુંબઈ જતી સયાજીનગરી એક્સપ્રેસ રદ્દ કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય મહત્વપૂર્ણ ટ્રેનોના રૂટ પણ ટૂંકાવી દેવામાં આવ્યા છે:

ટ્રેન નં. 12932 (અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસ): આ ટ્રેનને નવસારી રેલવે સ્ટેશન પર જ શોર્ટ ટર્મિનેટ (ટૂંકાવી) કરી દેવામાં આવી હતી.

ટ્રેન નં. 12934 (અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ કર્ણાવતી એક્સપ્રેસ): આ ટ્રેનને વલસાડ સ્ટેશન સુધી જ દોડાવવામાં આવી હતી.

ST બસ સેવાઓ પણ પ્રભાવિત, મુસાફરો બેહાલ

માત્ર રેલવે જ નહીં પરંતુ માર્ગ વાહનવ્યવહારને પણ વરસાદી આફતનો સામનો કરવો પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે રાજ્ય વાહન વ્યવહાર (ST) નિગમ દ્વારા અનેક બસ રૂટો ટૂંકાવી દેવામાં આવ્યા છે અથવા રદ્દ કરવાની ફરજ પડી છે. રેલવે સ્ટેશનો અને બસ સ્ટેન્ડો પર મુસાફરો કલાકો સુધી અટવાઈ પડતાં ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

રેલવે પ્રશાસનની મુસાફરોને ખાસ અપીલ

ટ્રેનોના રદ્દીકરણ અને રૂટ ફેરફારને પગલે મુંબઈ તરફ જતા મુસાફરો નવસારી અને વલસાડ સ્ટેશનો પર મુશ્કેલીમાં મુકાયા હતા. રેલવે પ્રશાસને પરિસ્થિતિ થાળે પાડવા માટે કામગીરી શરૂ કરી દીધી છે અને તમામ મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ મુસાફરી શરૂ કરતા પહેલા ટ્રેનના સમય, સ્ટોપેજ અને લાઈવ સ્ટેટસ જાણવા માટે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઈટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે.