'મારી પાર્ટી જવાબદાર નથી', કરુર ભાગદોડ કેસમાં CBIએ અભિનેતા વિજયની 6 કલાક પૂછપરછ કરી
Paras Joshi
Author
તમિલનાડુના કરૂર ભગદડ કેસમાં તમિલ સુપરસ્ટાર અને તમિલગા વેત્રિ કડગમ (TVK)ના પ્રમુખ વિજયને લઈને તપાસ વધુ તેજ બની ગઈ છે. સોમવારે એક્ટર વિજય સીબીઆઈ સમક્ષ પૂછપરછ માટે હાજર થયા, જ્યાં તેમની સાથે લગભગ છ સાડા છ કલાક સુધી સઘન પૂછપરછ કરવામાં આવી. આ સમગ્ર કાર્યવાહી દિલ્હીમાં આવેલી સીબીઆઈના મુખ્યાલયમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કરવામાં આવી.
સીબીઆઈના સમન બાદ વિજય સોમવારની સવારે ચાર્ટર્ડ વિમાન દ્વારા દિલ્હી પહોંચ્યા હતા. સવારે લગભગ 11:30 વાગ્યે તેઓ સીબીઆઈ હેડક્વાર્ટર પહોંચ્યા, જ્યાં અધિકારીઓએ વિવિધ મુદ્દાઓ પર તેમની વિગતવાર પૂછપરછ કરી. તપાસ એજન્સી કરૂરની દુર્ઘટનાને લઈને દરેક કડીને જોડવાનો પ્રયાસ કરી રહી છે, જેમાં વિજયની ભૂમિકા, પાર્ટીની જવાબદારી અને કાર્યક્રમ વ્યવસ્થાની સ્થિતિ મુખ્ય મુદ્દા રહ્યા.
સીબીઆઈ સૂત્રો અનુસાર, પૂછપરછ દરમિયાન વિજયે પોતાનો પક્ષ સ્પષ્ટ રીતે રજૂ કર્યો. તેમણે જણાવ્યું કે કરૂર ભગદડ માટે તેમની પાર્ટી અથવા પાર્ટીના કોઈ પણ પદાધિકારી જવાબદાર નથી. વિજયે દાવો કર્યો કે આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ હતી, પરંતુ તેને રાજકીય રીતે તેમના માથે મઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
પોલીસ દ્વારા વિજય પર કાર્યક્રમમાં મોડા પહોંચવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો. આ મુદ્દે વિજયે સ્પષ્ટતા આપતા કહ્યું કે તેમણે કાર્યક્રમ સ્થળ વહેલું છોડ્યું કારણ કે તેમને લાગ્યું કે તેમની હાજરીના કારણે ભીડ વધુ બેકાબૂ બની રહી હતી. વિજયના કહેવા મુજબ, તેમની ગેરહાજરીથી સ્થિતિ શાંત થઈ શકે એવી આશાથી તેમણે ત્યાંથી જવાનું યોગ્ય માન્યું.
સીબીઆઈ હવે વિજયના નિવેદનોને અગાઉ પૂછપરછ કરાયેલા પાર્ટીના પદાધિકારીઓ અને પોલીસ અધિકારીઓના નિવેદનો સાથે સરખાવી રહી છે. તપાસ એ વાત પર કેન્દ્રિત છે કે કાર્યક્રમ આયોજનમાં ક્યાં ખામી રહી અને ભીડ નિયંત્રણ માટે શું પૂરતી વ્યવસ્થા હતી કે નહીં. આ સમગ્ર તપાસ સુપ્રીમ કોર્ટના આદેશ હેઠળ પૂર્વ ન્યાયાધીશ અજય રસ્તોગીની દેખરેખમાં ચાલી રહી છે, જેથી કોઈપણ પ્રકારના રાજકીય દબાણ વિના નિષ્પક્ષ તપાસ થઈ શકે.
આ કેસમાં આવનાર દિવસોમાં પૂર્વ એડિશનલ ડીજી એસ. ડેવિડસન દેવાસિરવથમની પણ પૂછપરછ થવાની શક્યતા છે. સીબીઆઈ તમામ સંબંધિત અધિકારીઓ અને નેતાઓના નિવેદનો એકત્ર કરીને ઘટનાની સંપૂર્ણ કડી તૈયાર કરવા માંગે છે.