Home Gujarat
May 21, 2026

હવે આડેધડ સરકારી પ્રવાસો નહિ થાય, વધારાની ગાડીઓ ખેંચાશે; ગુજરાત સરકારનો 'ખર્ચ કાપ' પરિપત્ર જાહેર

Paras Joshi

Author

Post Image

વૈશ્વિક સ્તરે બદલાઈ રહેલી આર્થિક પરિસ્થિતિઓ અને આંતરરાષ્ટ્રીય પડકારોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે વહીવટી તંત્રમાં ચાલી રહેલા બિનજરૂરી ખર્ચાઓ પર મોટો અંકુશ લગાવ્યો છે. રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને વિદેશી હૂંડિયામણ (Foreign Exchange)ના વપરાશને નિયંત્રિત કરવા તેમજ સરકારી નાણાંની બચત કરવાના હેતુથી સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા એક અત્યંત કડક અને વિસ્તૃત પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. આ નવા આદેશ અનુસાર, હવે સરકારી અધિકારીઓ કે કર્મચારીઓ મનફાવે તેમ પ્રવાસો કે સરકારી વાહનોનો ઉપયોગ કરી શકશે નહીં.

સરકારી પ્રવાસો પર લાગશે લગામ, 'વર્ચ્યુઅલ' બેઠકોનો આદેશ

સરકારના નવા નિયમો મુજબ, સરકારી કામકાજ માટે માત્ર અત્યંત અનિવાર્ય અને જેની વિના ચાલે તેમ ન હોય તેવા જ પ્રવાસોનું આયોજન કરવાનું રહેશે. અધિકારીઓને રૂબરૂ મુસાફરી ટાળવા અને ટેલિફોન, ઈ-મેઈલ તેમજ વીડિયો કોન્ફરન્સિંગ જેવી આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. હવેથી ક્ષેત્રીય અધિકારીઓને રૂબરૂ મિટિંગમાં બોલાવવાને બદલે ઓનલાઈન બેઠકો યોજવાને જ પ્રથમ પ્રાધાન્ય અપાશે.

આ ઉપરાંત, વિદેશમાં યોજાતી તાલીમ, પરિસંવાદો કે અભ્યાસ પ્રવાસો (સ્ટડી ટૂર) પર પણ મોટો કાપ મૂકી દેવાયો છે. અન્ય રાજ્યો કે કેન્દ્ર સરકારની બેઠકોમાં પણ ડિજિટલ માધ્યમથી જ જોડાવા જણાવાયું છે. જો કોઈ સંજોગોમાં રાજ્ય બહાર જવું અનિવાર્ય બને, તો પણ ઉચ્ચ અધિકારીઓ પોતાની સાથે વધારાનો મોટો સ્ટાફ કે લબાચો લઈ જઈ શકશે નહીં. એટલું જ નહીં, જિલ્લા બહારની કોઈપણ મુસાફરી માટે સક્ષમ નિયંત્રણ અધિકારીની પૂર્વ મંજૂરી મેળવવી હવે ફરજિયાત બની ગઈ છે.

વધારાની સરકારી ગાડીઓ જમા લેવાશે, EV વાહનો પર ભાર

ગાડીઓના દુરુપયોગ અને ઈંધણના બગાડને અટકાવવા માટે સરકારે ભારે આકરું વલણ અપનાવ્યું છે. જો કોઈ અધિકારી પાસે એકથી વધુ હોદ્દા કે વધારાનો હવાલો (Charge) હોય, તો તેમને મળવાપાત્ર એક મુખ્ય વાહનને બાદ કરતાં, બાકીની તમામ વધારાની સરકારી ગાડીઓ તાત્કાલિક ધોરણે ‘સરકારી વાહન પુલ’ (Vehicle Pool)માં જમા કરાવી દેવી પડશે. તદુપરાંત, જે અધિકારીઓ પાસે પેટ્રોલ-ડીઝલના વિકલ્પ તરીકે ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) કે હાઈબ્રિડ મોડલ ઉપલબ્ધ છે, તેમણે ફરજિયાત પણે તેનો જ આગ્રહ રાખવો પડશે. સામાન્ય કર્મચારીઓને પણ વ્યક્તિગત વાહનોના બદલે મેટ્રો, એસ.ટી. બસ અને રેલવે જેવા જાહેર પરિવહનનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરાયા છે.

સરકારી કેન્ટીનોમાં PNG ફરજિયાત અને સ્વદેશીને પ્રાધાન્ય

એક અન્ય મહત્વના નિર્ણય અંતર્ગત, આગામી ૬ મહિનાની અંદર તમામ સરકારી કેન્ટીનોમાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્ટિવિટી મેળવવી ફરજિયાત કરવામાં આવી છે. વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે દેશી અર્થતંત્રને મજબૂત કરવા માટે તમામ સરકારી સંસ્થાઓમાં ખરીદ નીતિ પણ કડક કરાશે. હવેથી કોઈપણ ખરીદીમાં સ્વદેશી ચીજવસ્તુઓ, સ્થાનિક ઉત્પાદનો અને MSMEs (સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો)ની સેવાઓને જ પ્રથમ અગ્રતા અપાશે. આંતરરાષ્ટ્રીય કટોકટીના કારણે બજારમાં બિનજરૂરી સંગ્રહખોરી ન થાય તે માટે સરકાર જનજાગૃતિ અભિયાન પણ ચલાવશે.