Home Sports
May 29, 2026

RR vs GT મહામુકાબલો: જો મેઘરાજા વિલન બનશે તો રાજસ્થાન થશે બહાર અને ગુજરાતને મળશે ફાઇનલની ટિકિટ!

Paras Joshi

Author

Post Image

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) હવે તેના અંતિમ પડાવ પર પહોંચી ગઈ છે અને ક્રિકેટ ફેન્સનો રોમાંચ સાતમા આસમાને છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) શાનદાર પ્રદર્શન કરીને ચાલુ સીઝનની પ્રથમ ફાઇનલિસ્ટ ટીમ બની ચૂકી છે. હવે સવાલ એ છે કે 31 May ના રોજ યોજાનારી ભવ્ય ફાઇનલમાં બેંગલુરુ સામે કઈ ટીમ ટકરાશે? આ સવાલનો જવાબ આપણને 29 May ના રોજ મળશે, જ્યારે ક્વોલિફાયર 2 ના મહામુકાબલામાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ (GT vs RR) સામસામે ટકરાશે. મુલ્લાંપુરના મેદાન પર રમાનારા આ રોમાંચક જંગની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ આકાશમાં છવાયેલા વાદળોએ ફેન્સ અને બંને ટીમોના ધબકારા વધારી દીધા છે. જો આ મેગા મુકાબલામાં મેઘરાજા વિલન બને અને મેચ વરસાદમાં ધોવાઈ જાય, તો વિજેતાનો નિર્ણય કેવી રીતે થશે? આવો જાણીએ વરસાદને લઈને આઇપીએલના સત્તાવાર નિયમો શું કહે છે.

જો વરસાદ આવશે, તો અમ્પાયર્સ પાસે શું છે પ્લાન?

નિયમ અનુસાર, જો ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ દરમિયાન વરસાદ પડે છે, તો મેચ ઓફિશિયલ્સ અને અમ્પાયર્સની પ્રાથમિકતા એ જ રહેશે કે તે જ દિવસે રમત રમાડીને પરિણામ લાવવામાં આવે. આ માટે આઇપીએલના નિયમોમાં ખાસ 120 મિનિટ એટલે કે પૂરા બે કલાકનો વધારાનો સમય (Extra Time) ઉમેરવામાં આવ્યો છે. જો વરસાદ લાંબો સમય ચાલે તો ઓવરોમાં કાપ મૂકીને પણ મેચ કરાવવાનો પ્રયાસ કરાશે. મેચનું સત્તાવાર પરિણામ મેળવવા માટે બંને ઇનિંગ્સમાં ઓછામાં ઓછી 5-5 ઓવરની રમત થવી અનિવાર્ય છે. પરંતુ જો હવામાન એટલું ખરાબ રહે કે કટોકટીના સમય સુધી એક પણ બોલ ફેંકી શકાય તેમ ન હોય અથવા 5-5 ઓવરની મેચ પણ સંભવ ન બને, તો અંતે અમ્પાયર્સ દ્વારા મુકાબલો રદ (Abandoned) જાહેર કરવામાં આવશે.

મેચ રદ થવાના સંજોગોમાં કોને મળશે ફાઇનલની ટિકિટ?

હવે સૌથી મોટો સવાલ એ છે કે જો મેચ એક પણ બોલ ફેંકાયા વિના રદ થઈ જાય, તો ફાઇનલમાં જવાનો હક કોને મળશે? આઇપીએલની ડેડલોક પોલિસી અનુસાર, જો પ્લેઓફની કોઈ મેચ વરસાદમાં ધોવાઈ જાય, તો લીગ સ્ટેજના પોઇન્ટ્સ ટેબલને (Points Table) આધાર બનાવવામાં આવે છે. જે ટીમ આખા ટૂર્નામેન્ટ દરમિયાન પોઇન્ટ્સ ટેબલમાં ટોચના સ્થાને રહી હોય, તેને વિજેતા જાહેર કરવામાં આવે છે.

આ નિયમના આધારે સીધો ફાયદો ગુજરાત ટાઇટન્સને મળશે. ચાલુ સીઝનમાં ગુજરાત ટાઇટન્સની ટીમ પોઇન્ટ્સ ટેબલમાં બીજા (2nd) સ્થાને રહી હતી, જ્યારે સંજુ સેમસનની રાજસ્થાન રોયલ્સ ચોથા (4th) સ્થાને રહી હતી. તેથી, જો મેચ રદ થશે તો શુભમન ગીલની ગુજરાત ટાઇટન્સ સીધી ફાઇનલમાં પ્રવેશ કરશે અને રાજસ્થાનનું આઇપીએલ જીતવાનું સપનું રોળાઈ જશે.

પ્લેઓફના ઇતિહાસમાં બીજી વખત સામસામે

આઇપીએલના ઇતિહાસ પર નજર કરીએ તો, આ માત્ર બીજી એવી તક હશે જ્યારે પ્લેઓફ (Playoffs) ના સ્ટેજ પર રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ટક્કર થવા જઈ રહી છે. આ પહેલા વર્ષ 2022 ના આઇપીએલ ક્વોલિફાયર 1 માં આ બંને ટીમો પ્લેઓફમાં સામસામે આવી હતી. તે રોમાંચક મેચમાં ગુજરાત ટાઇટન્સે શાનદાર રમત રમીને રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. હવે જોવાનું એ રહેશે કે મુલ્લાંપુરમાં ક્રિકેટના રણમેદાન પર જીત કોની થાય છે, કે પછી મેઘરાજા ગુજરાત કિસ્મતનો ફેંસલો કરે છે.