મોદી કેબિનેટે અમદાવાદ મેટ્રોના વિસ્તરણને આપી મંજૂરી, 4 વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન #
Author
PM મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC)ના હાલના નોર્થ-સાઉથ કોરિડોરને ગિફ્ટ સિટીથી શાહપુર સુધી વિસ્તારવાને મંજૂરી આપવામાં આવી છે. આ વિસ્તરણ 3.33 કિલોમીટર લાંબું હશે અને તેમાં ત્રણ એલિવેટેડ સ્ટેશનોનો સમાવેશ થશે. પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 1,067.35 કરોડ છે અને તેને લગભગ ચાર વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે.
આ વિસ્તૃત કોરિડોરથી 2029માં દરરોજ અંદાજે 23,702 મુસાફરોને અને 2041માં અંદાજે 58,059 મુસાફરોને ફાયદો થવાની અપેક્ષા છે. આ પ્રોજેક્ટ અમદાવાદ અને ગિફ્ટ સિટી વચ્ચેની કનેક્ટિવિટીને મજબૂત બનાવશે, જેનાથી મુખ્ય મલ્ટીનેશનલ કંપનીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને વ્યાપારી કેન્દ્રોને સીધો લાભ મળશે. વ્યવસાય, રોજગાર અને શિક્ષણ સંબંધિત દૈનિક મુસાફરીની જરૂરિયાતોને પૂરી કરવામાં આ વિસ્તરણ મહત્વની ભૂમિકા ભજવશે. તેનાથી મેટ્રો નેટવર્કનું એકીકરણ વધુ સારું થશે અને મુસાફરોની સુવિધામાં નોંધપાત્ર સુધારો થશે.
રોજગારીની તકોની વાત કરીએ તો, બાંધકામ દરમિયાન અંદાજે 1,000 નોકરીઓ ઊભી થશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ઓપરેશન અને જાળવણી માટે અંદાજે 250 લોકોને રોજગાર મળશે. આ ઉપરાંત અન્ય સંબંધિત પ્રવૃત્તિઓથી પરોક્ષ રોજગારીની વધુ તકો ઉભી થશે. આ પ્રોજેક્ટ GMRC દ્વારા અમલમાં મૂકવામાં આવશે, જે ભારત સરકાર અને ગુજરાત સરકાર વચ્ચે 50:50ના હિસ્સા સાથેનું સંયુક્ત સાહસ છે.
હાલમાં અમદાવાદ મેટ્રોના ફેઝ-I (APMCથી મોટેરા સ્ટેડિયમ અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ) અને ફેઝ-II (મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર તથા GNLUથી ગિફ્ટ સિટી) કુલ 68.28 કિમી લાંબા નેટવર્ક સાથે 53 સ્ટેશનો છે. ફેઝ-I સપ્ટેમ્બર 2022થી અને ફેઝ-II જાન્યુઆરી 2026થી સફળતાપૂર્વક કાર્યરત છે, જ્યાં દરરોજ અંદાજે 1,60,000 મુસાફરો મુસાફરી કરે છે.