નારી શક્તિ વંદન સંમેલન: પંચાયતથી સંસદ સુધી ગુંજશે મહિલાઓનો અવાજ, આજે PM મોદીનું સંબોધન
Paras Joshi
Author
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ‘નારી શક્તિ વંદન સંમેલન’ને સંબોધિત કરશે. આ સંમેલન મહિલા અનામત અધિનિયમના અમલીકરણની દિશામાં એક મહત્વપૂર્ણ કડી છે. આ કાર્યક્રમમાં રાજકારણ ઉપરાંત શિક્ષણ, વિજ્ઞાન, રમતગમત અને સંસ્કૃતિ જેવા વિવિધ ક્ષેત્રોની પ્રતિષ્ઠિત મહિલા હસ્તીઓ એક મંચ પર જોવા મળશે. આ સંમેલનના ત્રણ દિવસ બાદ એટલે કે 16 એપ્રિલના રોજ સંસદનું વિશેષ સત્ર પણ બોલાવવામાં આવ્યું છે, જે મહિલા આરક્ષણના અમલીકરણ માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે.
આ આયોજન એટલા માટે ખાસ છે કારણ કે દેશ અત્યારે ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ના અમલીકરણની ઉબરો પર ઉભો છે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર ૨૦૨૩માં પસાર થયેલા આ ઐતિહાસિક અધિનિયમ હેઠળ લોકસભા અને રાજ્યની વિધાનસભામાં મહિલાઓ માટે એક તૃતિયાંશ બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય હવે દેશભરમાં આ આરક્ષણને અસરકારક રીતે કેવી રીતે લાગુ કરી શકાય તેના પર કેન્દ્રિત રહેશે. વડાપ્રધાન આ મંચ પરથી મહિલાઓના સશક્તિકરણ માટે સરકારના ભાવિ રોડમેપ વિશે પણ મહત્વની વાતો કરી શકે છે.
વિજ્ઞાન ભવનમાં થનારા આ મહામંથનમાં માત્ર રાજકારણ સાથે જોડાયેલી મહિલાઓ જ નહીં, પરંતુ શિક્ષણ, વિજ્ઞાન, રમતગમત, ઉદ્યોગસાહસિકતા, મીડિયા, સામાજિક કાર્ય અને સંસ્કૃતિ જેવા વિવિધ ક્ષેત્રોમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર પ્રતિભાઓ પણ એક મંચ પર જોવા મળશે. આ સંમેલન સાચા અર્થમાં મહિલા નેતૃત્વના દરેક સ્તરને ઉજાગર કરશે. પાયાના સ્તરે પંચાયતથી લઈને દેશની સર્વોચ્ચ સંસ્થા સંસદ સુધી મહિલાઓની સક્રિય ભાગીદારી કેવી રીતે વધારી શકાય તે અંગે આ બેઠકમાં ગહન ચર્ચા કરવામાં આવશે.