સુપ્રીમ કોર્ટમાં નાસિક TCS કેસની ગુંજ: ધર્માંતરણને 'આતંકવાદી કૃત્ય' જાહેર કરવા માંગ
Author
નાસિકના ચર્ચિત ટીસીએસ (TCS) ધર્માંતરણ મામલે સુપ્રીમ કોર્ટમાં એક નવી અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે છેતરપિંડી કે લાલચ આપીને કરવામાં આવતું ધર્માંતરણ દેશની અખંડિતતા માટે મોટો ખતરો છે અને તેને 'આતંકવાદી કૃત્ય' તરીકે જોવું જોઈએ. અરજીકર્તાએ સુપ્રીમ કોર્ટ પાસે માંગ કરી છે કે આવા કેસો માટે વિશેષ અદાલતોની રચના કરવામાં આવે અને કેન્દ્ર તથા રાજ્ય સરકારોને કડક કાયદો બનાવવા માટે નિર્દેશ આપવામાં આવે.
સુપ્રીમ કોર્ટમાં ધર્માંતરણને લગતા એક જૂના સ્તઃ સંજ્ઞાન (Suo Motu) કેસની સુનાવણી ચાલી રહી છે, જેમાં હવે નાસિકના આ નવા કેસને જોડીને વધારાની અરજી દાખલ કરવામાં આવી છે. અરજી કરનાર વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે નાસિકમાં જે રીતે સંગઠિત સ્વરૂપે ધર્માંતરણની પ્રવૃત્તિઓ ચાલી રહી છે, તે સામાન્ય ઘટના નથી. આ એક એવું કૃત્ય છે જે દેશની આંતરિક સુરક્ષા અને સામાજિક તાણાવાણાને છિન્નભિન્ન કરી શકે છે. અરજીમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જ્યારે ધર્માંતરણ કોઈ મોટા અભિયાન કે દબાણ હેઠળ કરવામાં આવે ત્યારે તે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ સમાન બની જાય છે.
અરજીમાં કરવામાં આવેલા આક્ષેપો મુજબ, આ પ્રકારના ધર્માંતરણ પાછળ વિદેશી તાકાતોનો હાથ હોવાની શંકા છે. દાવો કરવામાં આવ્યો છે કે વિદેશી ભંડોળના જોરે ભારતની ધાર્મિક વસ્તી સંતુલન (Demographic Balance) ને બગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ એક 'સુનિયોજિત ષડયંત્ર' છે જેનો અંતિમ હેતુ ભારતની એકતા અને સુરક્ષાને નબળી પાડવાનો છે. અરજીકર્તાએ દલીલ કરી હતી કે બંધારણ દરેક નાગરિકને ધર્મની આઝાદી આપે છે, પરંતુ આ આઝાદી સાર્વજનિક વ્યવસ્થા, નૈતિકતા અને સ્વાસ્થ્યની શરતોને આધીન છે. આઝાદીના બહાને કોઈને લાલચ આપીને કે ડરાવીને ધર્મ બદલાવી શકાય નહીં.