ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે BAOUમાં ‘સમતા સ્વરાંજલિ’ દ્વારા પદ્મશ્રી હેમંત ચૌહાણના સ્વરે ભાવસભર કાર્યક્રમ યોજાયો
Paras Joshi
Author
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ ખાતે ભારતના બંધારણના શિલ્પી ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ‘સમતા સ્વરાંજલિ’ નામે ભાવસભર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમાનતા, ન્યાય અને માનવ મૂલ્યોને સંગીત અને સંસ્કૃતિ દ્વારા ઉજાગર કરવામાં આવ્યા હતા.
સમતા સ્વરાંજલિ કાર્યક્રમ માટે યુનિવર્સિટીના આમંત્રણને માન આપીને સુપ્રસિદ્ધ ભજનીક અને લોકગાયક પદ્મશ્રી હેમંત ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના મધુર સ્વર દ્વારા શ્રોતાઓને ભાવવિભોર બનાવી દીધા હતા.
સમતા સ્વરાંજલિ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. યુનિવર્સિટીના કુલગુરુશ્રી અમી ઉપાધ્યાયે પદ્મશ્રી હેમંત ચૌહાણનું સાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું. પદ્મશ્રી હેમંત ચૌહાણે પોતાના સુમધુર સ્વરે ભગવાન બુધ્ધને યાદ કરી ડૉ. બાબાસાહેબ આંબેડકર પર ગીતો રજૂ કરી વિવિધ લોકગીતોની રજૂઆત કરી હતી. આ ઉપરાંત શિવ તાંડવની ભવ્ય રચના આપી ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમના ગીતોમાંથી સમાજજાગૃતિ, સમરસતા અને સંસ્કૃતિનો ઊંડો સંદેશ પ્રસરી ગયો હતો, જેને ઉપસ્થિત શ્રોતાઓએ ખૂબ સરાહના આપી હતી.
આ પ્રસંગે કુલગુરુશ્રી ડૉ. અમી ઉપાધ્યાયે પોતાના સંબોધનમાં સુપ્રસિદ્ધ ભજનીક અને લોકગાયક પદ્મશ્રી હેમંત ચૌહાણ અને તેની ટીમને બિરદાવી હતી તેમજ બાબાસાહેબના આદર્શોને આજના સમયમાં અત્યંત પ્રાસંગિક ગણાવી સમાનતા અને ન્યાયના માર્ગે આગળ વધવા પ્રેર્યા હતા.
કાર્યક્રમનું આયોજન આ. કુલગુરુ ડૉ. અમી ઉપાધ્યાયના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. ગૌતમ સભાગૃહમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને મહાનુભાવોએ હાજરી આપી હતી. ‘સમતા સ્વરાંજલિ’ કાર્યક્રમ બાબાસાહેબ આંબેડકરના મૂલ્યોને સંગીત દ્વારા જનમાનસ સુધી પહોંચાડતો એક પ્રેરણાદાયી પ્રયાસ સાબિત થયો હતો.
Gallery