Home Gujarat
April 18, 2026

ધંધુકામાં નજીવી બાબતે ભરવાડ યુવાનની હત્યા બાદ ભડકો: ટોળા દ્વારા આગચંપી અને હિંસા, આરોપી રિઝવાન ઝડપાયો

Paras Joshi

Author

Post Image

અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં વાહન ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતમાં થયેલી તકરારે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આ વિવાદમાં ભરવાડ સમાજના ધર્મેશ ગમારા નામના હિન્દુ યુવાનની મુસ્લિમ સમાજના યુવક રિઝવાન દ્વારા હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ થયેલી કિશન ભરવાડની હત્યાની યાદો તાજી થતા સ્થાનિક હિન્દુ સંગઠનો અને રહીશો રસ્તા પર ઉતરી આવ્યા હતા. બે જૂથો સામસામે આવી જતાં શહેરના અનેક વિસ્તારોમાં સ્થિતિ અતિશય તંગ બની ગઈ હતી અને ભારેલા અગ્નિ જેવો માહોલ સર્જાયો હતો.

હિંસક વિરોધ અને આગચંપી

હત્યાના સમાચાર વાયુવેગે ફેલાતા ઉશ્કેરાયેલા ટોળાઓએ ધંધુકાના મુખ્ય સર્કલ અને પાળીયાદ રોડ પર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. આ દરમિયાન પ્રદર્શન હિંસક બનતા કેટલીક દુકાનો અને વાહનોને નિશાન બનાવી આગ ચાંપી દેવામાં આવી હતી. અચાનક સર્જાયેલી આ અરાજકતાને લીધે બજારો સ્વયંભૂ બંધ થઈ ગયા હતા અને સામાન્ય નાગરિકોમાં ભયનો માહોલ ફેલાતા લોકોએ ઘરોમાં રહેવું જ મુનાસિબ માન્યું હતું. મૃતક યુવકના દેહને હાલ પોસ્ટમોર્ટમ માટે ધંધુકાની RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પોલીસની ત્વરિત કાર્યવાહી અને આરોપીની ધરપકડ

ઘટનાની જાણ થતા જ અમદાવાદ ગ્રામ્ય એસપી અને ધંધુકા ડીવાયએસપી સહિતનો મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મુખ્ય આરોપી રિઝવાનની ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત, અન્ય કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની પણ અટકાયત કરવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે જેથી કોઈ વધુ અનિચ્છનીય બનાવ ન બને.

શાંતિ જાળવવા તંત્રની અપીલ

હાલમાં ધંધુકાની સ્થિતિ નિયંત્રણ હેઠળ છે, પરંતુ સાવચેતીના ભાગરૂપે પોલીસ તૈનાત છે. સ્થાનિક ધારાસભ્ય કાળુભાઈ ડાભી અને પોલીસ વહીવટી તંત્ર દ્વારા લોકોને સંયમ રાખવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. તંત્રએ સ્પષ્ટતા કરી છે કે કાયદો હાથમાં લેનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને શહેરની શાંતિ જાળવવા માટે સૌએ સહકાર આપવો જરૂરી છે.

Gallery

1776514909 ezgif.com video to gif converter (9)
1776514910 ezgif.com video to gif converter (8)