Home Gujarat
April 18, 2026

ધંધુકામાં ફરી લોહિયાળ જંગ: યુવકની હત્યા બાદ ફાટી નીકળેલી હિંસાને પગલે શહેરમાં કરફ્યૂ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Author

Post Image

અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શહેરની નસીબ સોસાયટીમાં અંગત અદાવતને લીધે એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ લોહિયાળ ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને વિરોધ પ્રદર્શને હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. રોષે ભરાયેલા ટોળા દ્વારા રસ્તા પર ઉતરી આવીને આગચંપી અને તોડફોડ કરવામાં આવતા તંત્ર દ્વારા સ્થિતિને કાબૂમાં લેવા માટે તાત્કાલિક શહેરમાં કરફ્યૂ જાહેર કરી દેવામાં આવ્યો છે.

ઘટનાની વિગતો મુજબ, નસીબ સોસાયટીમાં જૂની અદાવતને લઈને બે પક્ષો સામસામે આવી ગયા હતા. સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલી વાત જોતજોતામાં હિંસક બની હતી અને એક યુવક પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. હત્યાની આ ઘટના બાદ ધંધુકાના બજારોમાં સન્નાટો છવાઈ ગયો હતો અને વેપારીઓએ ટપોટપ પોતાની દુકાનોના શટર પાડી દીધા હતા. તોફાની તત્વો દ્વારા કેટલીક દુકાનો અને કેબિનોમાં આગ લગાવવામાં આવતા વાતાવરણ વધુ તંગ બન્યું હતું.

હિંસક સ્થિતિને જોતા અમદાવાદ ગ્રામ્ય પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ધંધુકા દોડી ગયો છે. પોલીસે હિંસા ફેલાવનારા તત્વોને વિખેરવા માટે બળપ્રયોગ કર્યો હતો અને હાલમાં સમગ્ર શહેર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તોફાની તત્વો અને હત્યાના આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ કિશન ભરવાડની હત્યાની ઘટનાથી ધંધુકા રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યું હતું, ત્યારે ફરી એકવાર આવી ઘટના બનતા સ્થાનિકોમાં ભય અને ચિંતાનો માહોલ છે. તંત્ર દ્વારા હાલમાં શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા લોકોને અપીલ કરવામાં આવી છે.